ભદ્રેશ્વર, કચ્છ.

આજે ફરી અમારા કચ્છમાં ફરીએ. અને એ પણ કચ્છના એક પૌરાણિક ગામમાં જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલો છે.



ભદ્રેશ્વર એટલે જેનો મહાભારતમાં ઉલ્લેખ થયેલ છે તે ભદ્રાવતી. અહીં ચોખંડા મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. વાયકા પ્રમાણે તેનું નિર્માણ પાંડવોએ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કર્યું હતું. અહીં એક કૂવો પણ છે જે પાંડવ કુંડ તરીકે ઓળખાય છે. ભૂકંપમાં ખાસ્સું નુકશાન થયેલ હોવાથી મંદિરનું સમારકામ થયેલ છે. તે એક ઊંચા ઢાળ પર આવેલ હોવાથી અહીંની વહેલી સવાર અને સાંજ ખુશનુમા હોય છે. વળી, વસ્તીથી થોડી દૂર હોવાથી મહાદેવનું આ મંદિર વધુ રમણીય લાગે છે.


જો તમે ઇતિહાસમાં રસ ધરાવતા હોવ તો, જગડુશા (જગડુ શાહ)નું નામ જરૂર સાંભળ્યું હશે. એ જ દાનવીર જૈન વેપારી કે જેમણે દુકાળના સમયે ભારતના કેટલાય રાજ્યો માટે પોતાનો ખજાનો ખુલ્લો મુકેલો, કેટલાય રાજ્યોમાં અનાજ મોકલાવેલું. એ શેઠ જગડુશા પણ આ જ ગામના વેપારી. એમણે ગામમાં અને રાજ્ય બહાર પણ ઘણા મંદિર, હોસ્પિટલ, શાળા જેવી ઇમારતો બંધાવી છે.

ગામમાં જગડુશાનું સાત માળની (તે જમાનામાં) હવેલી પણ છે, પણ દુર્ભાગ્ય એ છે કે હાલમાં તે ખંડેર જેવી હાલતમાં છે. કોઈ સ્થાનિકને પૂછવાથી તેને તેનો ખ્યાલ પણ ના હોય તેવું બને. જો કે, હજુ પણ જો તંત્ર જાગે તો જેટલી ઇમારત બચી છે તેની જાળવણી કરી શકાય તેમ છે. એક ખૂબ સરસ હેરિટેજ પ્લેસ બની શકે તેમ છે જગડુશાની આ હવેલીની ઇમારત.



જગડુશાના જ સમકાલીન અને તેના મિત્ર એવા દૂદા મહેશ્વરી પણ તેમના જેવા જ પરોપકારી. ગામના લોકોને, વેપારીઓને અને વેપારીઓ સાથે આવતા તેમના જાનવરોને પાણી મળી રહે તે માટે વાવનું નિર્માણ કરેલું જે દૂદા વાવ તરીકે ઓળખાય છે. અત્યારે તે વાવની હાલત એટલી સારી નથી, પણ વિશાળ પથ્થરોને એકબીજા પર ટેકવીને બનાવેલી આ વાવ ચોક્કસ જોવાલાયક છે.

 

એની વે, ફક્ત આટલું જ જોવા માટે તમને છેક ભદ્રેશ્વર સુધી ધક્કો નહિ ખવડાવીએ, પિક્ચર અભી બાકી હૈ દોસ્ત.. એમ કહો કે અસલી મસાલો ક્લાઈમેક્સ માટે જ બચાવી રાખેલો.

ભદ્રેશ્વર જૈન ટેમ્પલ કે વસઈ જૈન ટેમ્પલ તરીકે જાણીતું અને જૈનોના સહુથી જુના મંદિરોમાનું એક એવું પાર્શ્વનાથ ભગવાનનું ખૂબ ભવ્ય મંદિર અહીં ભદ્રેશ્વર ખાતે આવેલું છે. લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાનું કહેવાતું આ જૈન મંદિર કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને કારણે કેટલીયવાર ભાંગ્યું પણ કચ્છના લોકોની ખુમારીની જેમ જ બેઠું થયું. છેલ્લે ૨૦૦૧ના ભૂકંપમાં પણ મંદિર સંપૂર્ણ ધ્વસ્ત થયેલું, પણ જૈન લોકો પોતાની સંસ્કૃતિ તેમજ વારસા પ્રત્યે ખૂબ જાગૃત છે તેથી ખૂબ ઓછા સમયમાં ભવ્ય અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતા મંદિરનું નિર્માણ પૂરું કર્યું.

જો કે, પૂરું કર્યું ના કહેવાય, આપણે જ્યારે પણ મંદિરની મુલાકાત લઈએ ત્યારે કારીગરો પથ્થરોમાંથી કોતરણી કરતા અચૂક નજરે પડે અને એ જોવાનો લ્હાવો કોઈએ ચૂકવો નહિ. મતલબ આ ભવ્ય મંદિરને હજુ વધુ ભવ્યતા આપવાનું કામ હંમેશ ચાલુ રહે છે.



અહીં ૧૫૦થી વધુ સ્વચ્છ, સુઘડ રૂમો છે, વડીલો માટે બેટરી સંચાલિત વેહિકલની સુવિધા છે, ભોજનલયમાં બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનરની (પ્રસાદી) વ્યવસ્થા પણ છે. જૈન લોકોના સ્થાનકોની સ્વચ્છતા વિશે કશું કહેવાનું જ ન હોય. એટલી જ ચોખ્ખાઈ તેમના ભોજનલયમાં પણ જોવા મળે છે. ત્યાંની વ્યવસ્થા અને ચોખ્ખાઈ લોકોને સ્વયંસ્થિત થવા પ્રેરે છે. તમે લોકો જૈન લોકોના ચોવિયાર(સૂર્યાસ્ત બાદ કશું ના ખાવાનું વ્રત) વિશે જાણતા જ હશો. તેથી ભોજનલયનો સમય સાચવવો ખૂબ જરૂરી છે, કેમ કે સમય વીતી ગયા બાદ આજુબાજુમાં કોઈ સરસ હોટેલ નથી. કોઈપણ ધર્મસ્થાનમાં જઈએ તો ત્યાંના નિયમો, માન્યતાઓને આદર આપવો ખૂબ જરૂરી હોય છે. અહીં માત્ર ભોજનાલયનો સમય જાળવવાનું અને મંદિરની અંદર શોર્ટ્સ પહેરી નહીં જવા જેટલો જ આદર આપવાનો છે.

ચોવીયારનો નિયમ પણ સમજવા જેવો છે, જૈન ધર્મ અહિંસામાં માને છે અને તે પણ માત્ર મનુષ્ય પ્રત્યેની નહિ પ્રત્યેક જીવ પ્રત્યે, સૂર્યાસ્ત બાદ બેકટેરિયા વધી જતાં હોવાથી તેઓ ચોવિયારનો નિયમ પાડે છે.) અહીંનું મંદિર ભવ્ય છે, ભીડ પણ સારી એવી રહે છે તેમ છતાં મંદિરની અંદર પ્રવેશતાં જ એક પ્રકારની શાંતિ અનુભવાય છે. તેના દરેક સ્તંભ પર રહેલી કોતરણી જાણે પોતાની તરફ આકર્ષિત કરે છે. જૈન તીર્થથી દૂદાની વાવ તરફ જવાના વગડાઉ રસ્તે ચાલવામાં એક અનોખો રોમાંચ થાય છે.

ભદ્રેશ્વર નાનું ગામ છે, ગાંધીધામથી મુન્દ્રા જવાના રસ્તે તે મુખ્ય રસ્તા પર જ આવે છે. કચ્છના મુખ્ય ગામો ભુજ, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવીથી અહીં સરળતાથી પહોંચી શકાય છે અને એક દિવસ ફાળવીએ તો ઉપર લખેલા બધાય સ્થળો શાંતિથી જોઈ શકાય છે. તેના મંદિરોની શિલ્પકારી, કોતરણી, ચોખ્ખાઈ અને ભવ્યતા જોવા તેમજ આપણા ઇતિહાસની ભવ્યતાનો નજારો માણવા કચ્છમાં રહેતા તેમજ પધારતા દરેક મિત્રોએ ભદ્રેશ્વરની મુલાકાત અચૂક લેવી જોઈએ.

Comments

  1. Really Nice place to visit and also very hygienic food...especially the "Bhakhri" and "Kadhi" which will attract you to visit again and again...

    ReplyDelete
  2. Are wah. Kai khbr pan nati ... Have javu padse. Well described

    ReplyDelete
    Replies
    1. Yes, u hv to visit this place.. share ur experience after visiting the same

      Delete
  3. Thank u nimish bhai nd heli didi a mandir na darshan krava mate bhu j mast jagya che story vanchi ne fri jvanu man thy gyu.

    ReplyDelete
    Replies
    1. આવો મુન્દ્રા ફરી જઈએ આપણે :)

      Delete
    2. વાહ..અણસમજુ ઉંમરે કચ્છ માં વિતેલ બાળપણ પછી હવે તમારા બ્લોગ્સ પછી સાવ નવી દ્રષ્ટિએ કચ્છ દેખાય છે ...eager to roam & enjoy kutch again.. નવા સ્થળ..નવા બ્લોગ..નવા કચ્છ ની રાહ માં..thanks a lot ..keep writing..

      Delete
  4. આ વખતે કચ્છ આવીશું ત્યારે આ સ્થળ જોવાની અમારી જીદ તમારી પાસે જ પુરી કરાવડાવીશું. :)

    ReplyDelete
    Replies
    1. ચોક્કસ. મને મજા આવશે તમને આ જગ્યાએ લઈ જવાની :)

      Delete
  5. વાહ અદભૂત વર્ણન

    ReplyDelete
    Replies
    1. ખૂબ આભાર પ્રત્યન્ચભાઈ..

      Delete

Post a Comment

આપનો અભિપ્રાય અહીં વાંચવો ગમશે. જો તમે anonymous તરીકે કોમેન્ટ મુકતા હોવ તો સાથે નામ લખવા વિનંતી.

Popular posts from this blog

પીડા તો ભાઈ ભોગવે છૂટકો.... an old diary entry.

શ્રદ્ધાના રસ્તે (way to faith)

'વ' વાર્તાનો 'વ'